મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label શાયર. Show all posts
Showing posts with label શાયર. Show all posts

04 April, 2021

ખલીલ ધનતેજવી

 ખલીલ ધનતેજવી

મૂર્ધન્ય કવિ-શાયર-ગઝલકાર-લેખક





 ‍જન્મતારીખ: 12 ડિસેમ્બર 1935

જન્મસ્થળ: ધનતેજ, વડોદરા

અવશાન:  4 એપ્રિલ 2021 (વડોદરા) (86 વર્ષ)

તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા, તેઓ મુશાયરાઓના બાદશાહ કહેવાતા, તેમણે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી હતી.

મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ  વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા

પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં

ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા. રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા કોલમ લખતાં હતા. બુધવારની શતદલ પૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.

તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. 

ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.


૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું હતું

ગઝલસંગ્રહ

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)
  • સોગાત
  • સૂર્યમુખી
  • સાયબા
  • સાંવરિયો
  • સગપણ
  • સોપાન
  • સારંગી

નવલકથા

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)



અબ મેં રાશન કી કતારો મે નજર આતા હું

અપને ખેતો સે બીછડ ને કી સજા પાતાં હું

             આ ગઝલને તો વિખ્યાત ગાયક જગજીતસિંહે કંઠ આપ્યો હતો.


વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.


ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ

આ તો હદયની વાત છે, હાંફી જવાય છે.


તેમના જાણીતા શેર

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,

જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.


એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.


ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.


કોઈ સ્થળે બેચાર મરે છે,

ક્યાંક કશે દસબાર મરે છે;

હિન્દુ મુસ્લિમ બંને સલામત,

માણસ વારંવાર મરે છે.


રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;

ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !


હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,

કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,

હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી


સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર


રોજ આવે છે સ્વપ્ના પગને,
બોલાવે છે રસ્તા પગને.

તારા તરફ ફંટાઉં ત્યારે,
થાય છે જલસા જલસા પગને.


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,
હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.